+

મૂંઝવણ .


- મારા વેવિશાળ થઇ ગયા છે. પરંતુ  મારા ભાવિ પતિને હું પ્રેમ કરતી નથી અને અમારા સ્વભાવમાં પણ મેળ પડતો નથી.  મારા આપ્તજનો દુ:ખી થાય નહીં એ રીતે મારે આ લગ્ન તોડવા છે 

મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારી ઉંચાઇ માત્ર ૧૭૨ સેન્ટીમીટર જ છે. મારે મારી ઉંચાઇ વધારવી છે તો મારે શું કરવું? શું કોઇ હાર્મોન કે ટોનિક લેવાથી મારી ઉંચાઇ વધી શકે છે?

એક યુવક (મહેસાણા)

* ઉંચાઇનો આધાર વારસાગત હોય છે. માતા-પિતાનું કદ તેમના સંતાનોમાં આવે છે. ઉંચાઇ વધારવાનો દાવો કરતી દવાઓથી છેતરાતા નહીં. આનો ફાયદો તમને નહીં પરંતુ દવા બનાવનારી કંપનીને જ થશે. સામાન્ય રીતે ૨૧ વરસ સુધી કદ વધી શકે છે. તમે વ્યાયામ કરો. તેમજ દૂધ-દહીં જેવા પદાર્થોનો તમારા આહારમાં સમાવેશ કરો. આમા કેલ્શિયમ વધુ હોય છે. હાર્મોનની દવા લેવાથી નુકસાન થઇ શકે છે. આથી નિષ્ણાત ડૉક્ટરની સલાહ વિના આનો ઉપયોગ કરતા નહીં.

હું ૧૬ વર્ષની છું.  મારી આંખોની નીચેની ચામડી કાળી થઇ ગઇ છે. આ કારણે હું ઘણી પરેશાન છું. આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવા મારે શું કરવું એની સલાહ આપશો.

એક યુવતી (રાજકોટ)

* સૌ પ્રથમ તો તમે પરેશાન થવાનું બંધ કરો. કારણ કે, પરેશાનીને કારણે આંખ નીચે કાળા કુંડાળા થઇ શકે છે. આ ઉપરાંત અપૂરતી ઉંઘ તેમજ પોષ્ટિક આહાર ન લેવાને કારણે પણ આ સમસ્યા સતાવે છે. આ માટે કોઇ ક્રીમની જરૂર નથી. તમે નિયમિત વ્યાયામ કરો. પોષ્ટિક આહાર લો. દૂધ, દહીં જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. તેમજ ઓછામાં ઓછા આઠ કલાક સુવાની આદત પાડો. કોઇ ચિંતા હોય તો છોડી દો. આ ઉપરાંત લીલા પાંદડાવાલા શાકભાજી પણ તમને ઉપયોગ સાબિત થશે. તમારી આ સમસ્યા દૂર કરવા માટે તમે કોઇ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લઇ શકો છો.

મારા વેવિશાળ થઇ ગયા છે. પરંતુ મને લાગે છે કે મારા ભાવિ પતિને હું પ્રેમ કરતી નથી અને અમારા સ્વભાવમાં પણ મેળ પડતો નથી. હું તેમની સાથે કોઇ સમસ્યા વિશે વાત કરું તો તેઓ અકળાઇ જાય છે. મારે આ લગ્ન કરવા નથી. મારા આપ્તજનો દુ:ખી થાય નહીં એ રીતે મારે આ લગ્ન તોડવા છે તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (ગુજરાત)

* લાગે છે કે તમે પત્રમાં વિગતવાર માહિતી આપી નથી. લગ્ન તોડવા માટે આ કારણ ક્ષુલ્લક છે. હજુ તમને તમારા ભાવિ પતિનો પરિચય કેટલો થયો છે? લગ્ન પૂર્વે આવો ડર લાવે એ સ્વાભાવિક છે. તમારે તમારી લાગણીઓમાં સ્પષ્ટ થવાની જરૂર છે. તમારા મનમાં આવી ગંભીર શંકા ઉપજાવવા  પાછળ શું બીજું કોઇ કારણ છે? પૂરતો વિચાર કર્યાં પછી જ યોગ્ય નિર્ણય લો. આ તમારી જિંદગીનો સવાલ છે. આથી યોગ્ય વિચાર કર્યાં પછી તમારા પરિવાર સાથે ગંભીર ચર્ચા કર્યા પછી તેમની સલાહ મુજબ આગળ વધો.

હું ૨૯ વરસની  અપરિણીત યુવતી છું. મને મારી નોકરીમાં સંતોષ મળતો નથી. એક સમયે હું ઘણી મહત્વાકાંક્ષી, લોકપ્રિય અને રમૂજી સ્વભાવની યુવતી હતી. પરંતુ આજે હું શરમાળ, એકલપંડી બની ગઇ છું અને કંટાળી ગઇ છું. શું મારે લગ્ન કરવા કે મારી કારકિર્દી આગળ વધારવી? યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક બેન (અમદાવાદ)

* લગ્ન અને કારકિર્દી વચ્ચે કોઇ સંબંધ નથી. બંને એકબીજાથી સાવ અલગ છે. લગ્ન કરીને પણ તમે તમારી કારકિર્દી ચાલુ રાખી શકો છો. મને લાગે છે કે તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી બેઠા છો. સૌ પ્રથમ તો તમારી સમસ્યાનો મૂળ શોધો. તમારા કામકાજના સ્થળનું વાતાવરણ ઠીક હોય નહીં. તો નવી નોકરીની તલાશ કરો. મિત્રો સાથે હળવા-ભળવાની શરૂઆત કરો અને મનપસંદ પ્રવૃત્તિઓમાં મન પરોવો. જીવનનો આનંદ માણતા શીખો. આ ઉપરાંત કોઇ સારો પુરુષ શોધો. અને લગ્ન કરી લો.

- અનિતા

facebook twitter